About the Journal

સાબરમતી સામયિક

ગૂજરાત વિદ્યાપીઠનું ઐતિહાસિક સામયિક સાબરમતીનો પ્રારંભ ઈ.સ. ૧૯૨૨માં ગુજરાત મહાવિદ્યાલય વિદ્યાર્થી મંડળના ઉપક્રમે થયો હતો. શરૂઆતના સમયમાં આ સામયિક દ્વિમાસિક સ્વરૂપે પ્રકાશિત થતું હતું અને દર વર્ષે પાંચમો તથા છઠ્ઠો અંક સંયુક્તરૂપે બહાર પાડવામાં આવતો હતો. સામયિકના પ્રારંભિક છ વર્ષ દરમિયાન ચુનીલાલ પુરુષોત્તમદાસ બારોટ, નગીનદાસ નારણદાસ પારેખ અને શંકરભાઈ સોમાભાઈ પટેલે તંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી.

સાબરમતીમાં મુખ્યત્વે સાહિત્યિક અને ચિંતનાત્મક લેખોને સ્થાન આપવામાં આવતું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, વિદ્યાર્થી મંડળની કામગીરી તથા હિસાબોની વિગતો પણ પ્રકાશિત થતી હતી. વિદ્યાર્થી મંડળની પ્રવૃત્તિઓનો વિભાગ ખાસ કરીને નગીનદાસ પારેખ સંભાળતા હતા. તે સમયગાળા દરમિયાન સામયિકનું વાર્ષિક લવાજમ દેશમાં બે રૂપિયા અને વિદેશમાં અઢી રૂપિયા રાખવામાં આવ્યું હતું, જ્યારે એક છૂટક નકલની કિંમત છ આના હતી

ઈ.સ. ૧૯૨૨થી ૧૯૨૮ સુધી સાબરમતી દ્વિમાસિક રૂપે નિયમિત પ્રકાશિત થયું અને આ સમયગાળામાં કુલ ૩૪ અંકો પ્રસિદ્ધ થયા હતા. બાદમાં સામયિકનું પ્રકાશન બંધ થયું, પરંતુ ઈ.સ. ૨૦૨૪માં આ. કુલપતિ શ્રી હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેનું પુનઃપ્રકાશન શરૂ કરવામાં આવ્યું. હાલમાં સાબરમતી માસિક સ્વરૂપે પ્રકાશિત થાય છે.

સાબરમતી વિદ્યાપીઠની વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને આવરી લેતું સામયિક છે. તેમાં કવિતા, પુસ્તક સમીક્ષા, ચિંતનાત્મક તથા સમસામયિક વિષયો સંબંધિત લેખો પણ પ્રકાશિત થાય છે.

હાલમાં સાબરમતીનું વિતરણ મુખ્યત્વે વિદ્યાપીઠ સંકુલ પૂરતું મર્યાદિત છે. તેની મર્યાદિત નકલો પ્રકાશિત કરવામાં આવે છે અને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા સભ્યોને ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવે છે.